શ્રીગિરિરાજધારી | bhajgovindam - ભજગોવીન્દમ । shree krishna શ્રી ક્રિષ્ના । શ્રી કૃષ્ણ

ભજ ગોવિંદમ્

By EditorInChief

ભજ ગોવિન્દમ ભજ ગોવિન્દમ ગોવિન્દમ ભજ મૂઢમતે।
સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહિ નહિ રક્ષતિ ડુકૃઝરણે ॥૧॥

ઓ મૂર્ખ માનવ! ગોવિન્દને ભજ, ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ. નિર્ધારિત કાળ આવશે ત્યારે વ્યાકરણના નિયમો તારી રક્ષા નહિ કરી શકે.

મૂઢ જહીહિ ધનાગમતૃષ્ણાં કુરુ સદબુદ્ધિ મનસિ વિતૃષ્ણામ્।
યલ્લભસે નિજકર્મોપાત્તં વિત્તં તેન વિનોદય ચિત્તમ॥ ભજ ગોવિન્દમ… ॥ ૨ ॥

હે મૂઢ! ધનસંચયની લાલસા છોડ, સદબુદ્ધિ ધારણ કર, મનમાંથી તૃષ્ણા ત્યાગી દે, તારાં કર્મ અનુસાર જે કાંઈ પ્રાપ્ત થાય તેનાથી તારા ચિત્તને પ્રસન્ન રાખ. ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

નારી સ્તનભર નાભીદેશં દષ્ટવા મા ગા મોહાવેશમ્।
એતન્માંસ વસાદિ વિકારં મનસિ વિચિન્તય વારં વારમ્॥ ભજ ગોવિન્દમ્ ॥3॥

નારીના વિકસેલા સ્તન, અને નાભિપ્રદેશ જોઈ મોહના આવેશમાં ન પડ. એ તો માંસ અને ચરબીનો વિકાર માત્ર છે એમ મનમાં વારંવાર વિચાર કર. ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

નલિની દલગત જલમતિ તરલં તદ્વજ્જીવિત મતિશય ચપલમ્।
વિદ્ધિ વ્યાધ્યભિમાન ગ્રસ્તં લોકં શોકહતં ચ સમસ્તમ્॥ ભજ ગોવિન્દમ્ ॥૪॥

કમળના પાંદડા પર રમતું જળબિંદુ જેમ ખૂબ ચંચળ છે, તેમ આ જીવન પણ અતિ અસ્થિર છે. રોગ અને અભિમાનથી ગ્રસ્ત આ સકળ સંસાર જ શોક અને દુ:ખથી ભરપૂર છે તે બરાબર સમજી લે. ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

યાવદ્વિત્તોપાર્જન સક્ત સ્તાવન્નિજપરિવારો રક્ત:।
પશ્ચાજ્જીવતિ જર્જરદેહે વાર્તા કોઅપિ ન પૃચ્છતિ ગેહે॥ ભજ ગોવિન્દમ્ ॥૫॥

જ્યાં સુધી મનુષ્યમાં ધન કમાવાની શક્તિ છે ત્યાં સુધી જ તેનો પરિવાર તેનામાં આસક્ત રહેશે. જ્યારે તેનો દેહ જર્જરિત થશે ત્યારે ઘરમાં તેની સાથે કોઈ વાત કરવાની પણ પરવા નહિ કરે! ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

યાવત્પવનો નિવસતિ દેહે તાવત્પૃચ્છતિ કુશલં ગેહે।
ગતવતિ વાયૌ દેહાપાયે ભાર્યા બિભ્યતિ તસ્મિંકાયે॥ ભજ ગોવિન્દમ્ ॥૬॥

જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી જ ઘરમાં સૌ તમારા કુશળ સમાચાર પૂછે છે. દેહને છોડી પ્રાણ ચાલ્યા જાય છે અને શરીર વિકૃત થાય છે ત્યારે તમારી પત્ની પણ તે દેહથી ડરે છે! ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

બાલા સ્તાવત્ ક્રીડાસક્ત સ્તરુણ સ્તાવત્ તરુણીસક્ત:।
વૃદ્ધ સ્તાવત્ ચિંતામગ્નઃ પરમે બ્રહ્મણિ કોડપિ ન સક્ત:॥ ભજ ગોવિન્દમ્ ॥૭॥

બાળપણમાં માણસ રમતમાં આસકત રહે છે, યુવાની આવે છે ત્યારે તે યુવતીમાં આસક્ત હોય છે, વૃદ્ધાવસ્થામાં તે ચિંતામગ્ન રહે છે. છતાં અરેરે! કોઈ પણ પરબ્રહ્મમાં આસક્ત થતું નથી. ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

કા તે કાન્તા કસ્તે પુત્ર: સંસારેડયમતીવ વિચિત્ર:।
કસ્ય ત્વં ક: કુત આયાત તત્વં ચિંતય તદિહ ભ્રાતઃ॥ ભજ ગોવિન્દમ્ ॥૮॥

કોણ તારી પત્ની છે? કોણ તારો પુત્ર છે? આ સંસાર ખરેખર, વિચિત્ર છે. અહીં તું કોનો છે? તું ક્યાંથી આવ્યો છે? ઓ ભાઈ! તત્વનો જ (સત્યનો) અહીં વિચાર કર. ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

સત્સંગત્વે નિસસ્સંગત્વં નિસસ્સંગત્વે નિર્મોહત્વમ્।
નિર્મોહત્વે નિશ્ચલત્વં નિશ્ચલત્વે જીવનમુક્તિ:॥ ભજ ગોવિન્દમ્ ॥૯॥

સત્સંગ દ્વારા અનાસક્તિ જન્મે છે; અનાસક્તિને કારણે ભ્રમણાનો નાશ થાય છે. મોહનો નાશ થતાં નિશ્ચળ આત્મતત્વનું જ્ઞાન થાય છે. અને આ જ્ઞાન દ્વારા જીવનમુક્તિ પ્રાપ્ત થાય છે. ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

વયસિ ગતે ક: કામવિકાર: શુષ્કે નીરે ક: કાસાર:।
ક્ષીણે વિત્તે ક: પરિવારો જ્ઞાતે તત્વે ક: સંસાર॥ ભજ ગોવિન્દમ્ ॥૧૦॥

યુવાની ચાલી જતાં કામવિકાર-લાલસાનો આવેગ ક્યાંથી રહે? પાણી સુકાઈ જતાં સરોવર ક્યાંથી રહે? પૈસો ઓછો થતાં પરિવાર શા માટે વળગી રહે? આત્મતત્વનું જ્ઞાન થતાં સંસાર શી રીતે રહી શકે? ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

દિનયામિન્યૌ સાયં પ્રાત: શિશિરવસન્તો પુનરાયાત:।
કાલ: ક્રીડતિ ગચ્છત્યાયુ સ્તદપિ ન મુઝ્ચત્યાશાવાયુ:॥ ભજ ગોવિન્દમ્ ॥૧૧॥

દિવસ અને રાત, મળસ્કું અને સાયંકાળ, શિશિર અને વસંત ફરી ફરીને આવે છે અને જાય છે. કાળ ક્રીડા કરે છે અને આયુષ્ય ઓસરતું જાય છે અને છતાં કોઈ આશાના વાયરાઓ છોડતું નથી. ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

કા તે કાન્તા ધનગતચિન્તા વાતુલ કિં તવ નાસ્તિ નિયન્તા।
ત્રિજગતિ સજ્જનસંગતિરેકા ભવતિ ભવાર્ણવતરણે નૌકા॥ ભજ ગોવિન્દમ્ ॥૧૨॥

ઓ વ્યાકુળ માણસ! પત્ની, પૈસા વગેરેની ચિંતા તું શા માટે કરે છે? તારો કોઈ નિયંતા નથી શું? ત્રણે લોકમાં માત્ર સત્સંગ જ ભવસાગર તરવા અર્થે નૌકાની ગરજ સારે છે. ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

જટિલો મુણ્ડી લુચ્છિતકેશ: કાષાયામ્બર બહુકૃત વેશ:।
પશ્યન્નપિ ચ ન પશ્યતિ મૂઢો હૃયુદરનિમિત્તં બહુકૃતવેષ:॥ ભજ ગોવિન્દમ્ ॥૧૩॥

કોઈ જટાધારી, કોઈ માથું મૂંડાવેલો, કોઈ ચૂંટી ચૂંટીને વાળ કાઢી નાખેલા માથાવાળો, કોઈ ભગવાંધારી – આ બધા (સાધુ-સ્વાંગ ધારીઓ) મૂઢ છે. તેઓ માત્ર પેટ ભરવા ખાતર જુદા જુદા વેશ ધારણ કરે છે. ખરેખર તેઓ (સત્યને) જોતા હોવા છતાં જોતા નથી. ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

અંગં ગલિતં પલિતં મુણ્ડં દશન વિહીન જાતં તુંડમ્।
વૃદ્ધો યાતિ ગૃહિત્વા દણ્ડં તદપિ ન મુંચત્યાશા પિંડમ્॥ ભજ ગોવિન્દમ્ ॥૧૪॥

જેનું શરીર ગળી ગયું છે, માથે પળિયાં આવ્યાં છે, મોઢું દાંત વિનાનું બોખું થયું છે તેવો વૃદ્ધ લાકડીને સહારે હરેફરે છે છતાં પોતાની આશાઓનો ભારો છોડતો નથી. ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

અગ્ને વહિ પૃષ્ઠે ભાનુ: રાત્રૌ ચુબુક્ સમર્પિત જાનુ:।
કરતલ ભિક્ષસ્ તરુતલ વાસ સ્તદ્પિ ન મુશ્ચત્યાપાશ : ॥ ભજ ગોવિન્દમ્ ॥ ૧૫ ॥

રાત્રે આગળ અગ્નિ છે, દિવસે પાછળ સૂર્ય છે, મોડી રાત્રે ટૂંટિયું વાળે છે; હથેળીમાં ભિક્ષા ગ્રહણ કરે છે. વૃક્ષ હેઠળ વાસ છે અને છતાં પણ આશાઓનું બંધન છોડતો નથી. ગોવિન્દને ભજ… ગોવિન્દને જ ભજ…

કુરુતે ગંગા સાગર ગમનં વ્રત પરિપાલનમથવા દાનમ્।
જ્ઞાનવિહીન: સર્વમતેન ભજતિ ન મુક્તિ જન્મશતેન॥ ભજ ગોવિન્દમ્ ॥૧૬॥

કોઈ (જ્યાં ગંગા સાગરને મળે છે ત્યાં) ગંગાસાગર નામના તીર્થની યાત્રાએ જાય, અથવા વ્રતો કરે કે દાન કરે પરંતુ જો તે જ્ઞાન વગરનો હોય, તેને પોતાને સત્યનો સાક્ષાત્કાર થયો ન હોય તો તેને સો જન્મમાં પણ મુક્તિ મળતી નથી એવો બધા આચાર્યોનો અભિપ્રાય છે. ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

સુર મન્દિર તરુ મૂલનિવાસ: શય્યા ભૂતલમજિનં વાસ:।
સર્વં પરિગ્રહ ભોગત્યાગ: કસ્ય સુખં ન કરોતિ વિરાગ :॥ ભજ ગોવિન્દમ્ ॥૧૭॥

મંદિરમાં કોઈ ઝાડ નીચે નિવાસ, ખુલ્લી જમીન ઉપર શયન, મૃગચર્મનું પરિધાન અને આ રીતે પરિગ્રહ અને ભોગવવાની ઈચ્છાનો ત્યાગ; આવો વૈરાગ્ય કોને સુખ આપતો નથી? ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીન :।
યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તં નન્દતિ નન્દતિ નન્દત્યેવ॥ ભજ ગોવિન્દમ્ ॥૧૮॥

કોઈ માણસ યોગમાં રાચતો હોય કે તે ભોગમાં રાચતો હોય, કોઈ સંગમાં આનંદ માણતો હોય કે તે લોકોથી દૂર એકાંતમાં રાચતો હોય. જેનું ચિત્ત બ્રહ્મમાં રાચે છે તે આનંદ માણે છે…આનંદ માણે છે… ખરેખર તે જ આનંદ માણે છે… ગોવિન્દને ભજ… ગોવિન્દને જ ભજ…

ભગવદગીતા કશ્ચિદઘીતા ગંગા જલલવ કણિકા પીતા।
સકૃદપિ યેન મુરારિ સમર્ચા ક્રિયતે તમ્ય યમેન ન ચર્ચા॥ ભજ ગોવિન્દમ્ ॥૧૯॥

જેણે ભગવદગીતાનો થોડો પણ અભ્યાસ કર્યો છે, જેણે ગંગાજળનું એક ટીપું પણ પીધું છે, જેણે મુરારિ ભગવાનની એક વાર પણ અર્ચા કરી છે તેને મૃત્યુના સ્વામી યમ સાથે ચર્ચા કરવાની રહેતી નથી. ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

પુનરપિ જનનં પુનરપિ મરણં પુનરપિ જનનીજઠરે શયનમ્।
ઈહ સંસારે બહુદુસ્તારે કૃપયાડપારે પાહિ મુરારે॥ ભજ ગોવિન્દમ્ ॥૨૦॥

ફરી જન્મ, ફરી મરણ અને ફરી માના ઉદરમાં સૂવાનું – આ સંસારની પ્રક્રિયા પાર કરવાનું ઘણું મુશ્કેલ છે… ઓ! મુરારિ તારી અનંત કૃપા દર્શાવી મને બચાવ. ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

રથ્યા ચરર્પટ વિરચિત્ત કન્ય: પુણ્યાપુણ્ય વિવર્જિત પન્થ:।
યોગી યોગ નિયોજિત ચિત્તો રમતે બાલોન્મતવદેવ॥ ભજ ગોવિન્દમ્ ॥૨૧॥

જેણે માત્ર ગોદડી પહેરેલી છે, જે પુણ્ય અને પાપથી પર એવા માર્ગે ચાલે છે, પૂર્ણ યોગનાં ધ્યેયોમાં જેનું મન જોડાયેલું છે તેવો યોગી આનંદ માણે છે (પરમાત્માની ચેતનામાં) અને ત્યાર પછી એક બાળક કે એક પાગલની માફક રહે છે. ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

કસત્વં કોડહં કુત આયાત: કા મે જનની કો મે તાત:।
ઈતિ પરિભાવય સર્વમસારં વિશ્વં ત્યકત્વા સ્વપ્નવિચારમ્॥ ભજ ગોવિન્દમ્ ॥૨૨॥

તું કોણ છે? હું કોણ છું? હું ક્યાંથી આવ્યો? મારી મા કોણ? મારો બાપ કોણ? અનુભૂતિનું સમસ્ત જગત જે અસાર અને માત્ર સ્વપ્નપ્રદેશ જેવું છે તેને છોડી આ રીતે તપાસ કર. ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

ત્વયિ મયિ ચાન્યત્રૈકો વિષ્ણુ વ્યર્થ કુપ્યસિ મય્યસહિષ્ણુ:।
ભવ સમચિત્ત: સર્વત્ર ત્વં વાઝ્છસ્યચિરાધદિ વિષ્ણુત્વમ્॥ ભજ ગોવિન્દમ્ ॥૨૩॥

તારામાં, મારામાં અને બીજાં (સર્વ) સ્થળોએ પણ માત્ર એક સર્વવ્યાપક સત્તા (વિષ્ણુ) છે, અધીર હોવાથી, તું મારી સાથે નકામો ગુસ્સે થાય છે. જો તું તુરંત વિષ્ણુત્વ ચાહતો હો તો બધા સંજોગોમાં સમતાવાળો થા. ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

શત્રૌ મિત્રે પુત્રે બન્ધૌ મા કુરુ યત્નં વિગ્રહસન્ધૌ।
સર્વસ્મિન્નપિ પશ્યાત્માનં સર્વત્રોત્સૃજ ભેદાજ્ઞાનમ્॥ ભજ ગોવિન્દમ્ ॥૨૪॥

તારા શત્રુ, મિત્ર, પુત્ર કે સંબંધી સાથે લડવા કે તેમની સાથે મૈત્રી બાંધવાના પ્રયાસમાં તારી શક્તિ વેડફીશ નહિ. આત્માને સર્વત્ર અનુભવવાનો પ્રયાસ કરતાં અજ્ઞાનજનિત ભેદબુદ્ધિનો ત્યાગ કર. ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

કામં ક્રોધં લોભં મોહં ત્યકત્વાડડત્માનં પશ્યતિ સોહમ।
આત્માજ્ઞાનવિહીના મૂઢા સ્તે પચ્યન્તે નરકનિગૂઢા:॥ ભજ ગોવિન્દમ્ ॥૨૫॥

ઈચ્છા, ક્રોધ, લોભ અને મોહને છોડીને સાધક આત્મામાં ‘તે હું છું.’ એમ જુએ છે. જેને આત્મજ્ઞાન થયું નથી તેઓ મૂઢ છે અને (પરિણામે) તેઓ નરકમાં બંદીવાન તરીકે ત્રાસ સહન કરે છે. ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

ગેયં ગીતા નામ સહસ્ત્રં ધ્યેયં શ્રીપતિ રૂપમજસ્ત્રમ્।
નેયં સજ્જનસંગે ચિત્તં દેયં દીનજનાય ચ વિત્તમ॥ ભજ ગોવિન્દમ્ ॥૨૬॥

ભગવદગીતા અને સહસ્ત્રનામનો પાઠ કરવો, લક્ષ્મીપતિનું ધ્યાન કરવું; સજ્જ્નોના સંગમાં ચિત્તને દોરવું; અને ગરીબ લોકોને ધનનું દાન કરવું. ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

સુખત: ક્રિયતે રામાભોગ: પશ્ચદ્ધન્ત શરીરે રોગ:।
યદ્યપિ લોકે મરણં શરણં તદપિ ન મુશ્ચતિ પાપાચરણમ્॥ ભજ ગોવિન્દમ્ ॥૨૭॥

મનુષ્ય દૈહિક ઉપભોગોમાં સત્વર મગ્ન થાય છે, પછીથી અરેરે! શરીરના રોગો આવે છે. જોકે જગતમાં આખરી અંત મરણ જ છે છતાં મનુષ્ય પોતાનું પાપાચરણ છોડતો નથી. ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

અર્થમનર્થ ભાવય નિત્યં નાસ્તિ તત: સુખલેશ: સત્યમ્।
પુત્રાદપિ ધનભાજાં ભીતિ: સર્વત્રૈષા વિહિતા રીતિ:॥ ભજ ગોવિન્દમ્ ॥૨૮॥

‘પૈસો અનર્થકારી છે’ તેમ નિત્ય વિચાર કર. ખરી વાત એ છે કે પૈસાથી કોઈ સુખ મળવાનું નથી. પૈસાદારને પોતાના પુત્રથી પણ ભય રહે છે. પૈસાની આ રીત બધે જાણીતી છે. ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

પ્રાણાયામં પ્રત્યાહારં નિત્યાનિત્ય વિવેક વિચારમ્।
જાપ્યસમેત સમાધિ વિધાનં કુર્વ વધાનં મહદ્-અવધાનમ્॥ ભજ ગોવિન્દમ્ ॥૨૯॥

પ્રાણાયામ, પ્રત્યાહાર, નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેકરૂપી વિચાર, જપ અને સમાધિ – આ બધું કાળજીપૂર્વક કર, ખૂબ કાળજીપૂર્વક કર. ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

ગુરુ ચરણામ્બુજ નિર્ભરભક્ત: સંસારાદચિરાભ્વ મુક્ત:।
સેન્દ્રિય માનસ નિયમાદેવં દ્રક્ષ્યસિ નિજહૃદયસ્થં દેવમ્॥ ભજ ગોવિન્દમ્ ॥૩૦॥

ઓ! ગુરુના ચરણકમળના ભક્ત! ઈન્દ્રિયો અને મનના સંયમ દ્વારા સંસારમાંથી તુરત મુક્ત થા. તું તારા હૃદયમાં જ વિરાજતા ઈશ્વરનો અનુભવ કરીશ. ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ…

Leave a Comment

Your email address will not be published.

You may also like